March 11th 2008

માધવ કેમ નથી, મધુવનમાં ?

અમથાં અમે જ ઘડી ઘડી ઝગડો કરી મળતાં હતાં.
ખુદ થી અગર કદિ ગૈર થી રસતો પુછી મળતાં હતાં.

મતભેદ તો થઇ જાય છે, મનભેદ તો કરવો નથી,
મત ને હણી મન મેળવી ઉમદા જિવન જિવતાં હતાં.

અણથક હતો પ્રવાસ ને અનઘડ હતો પ્રયાસ,પણ-
વળગી ધરી, પહિયા બની, રથના અમે ફરતાં હતાં.

ચલતા ભલા સહુ સાધુઓ, કરે મોક્ષનો ઉદઘોષ જે,
બસ, એ જ ચળવળ માણવા, અપનાવવા મથતાં હતાં.

વસમું ગણિત જગમાં હવે બનશે ઉધાર અને જમા,
પળ એક જાવક હોય તો ય હિસાબમાં ભુલતાં હતાં.

વસમી હતી મધુવન મહીં ગિરિધર તણી અનવેષણા,
બસ, રાધિકા વિસરી ગઇ, વનરાવને મળતાં હતાં.

ચકલા અને ચકલી તણું ઘર આંગણું ઘણું શોભતું,
ચકલી હવે ચોખા અને ચકલો ઘઊં ચણતા હતાં.

ચરખે ફરી ચગડોળ સમ પરતંત્રતા જ્યમ પરહરી,
અમ એ જ ભારતવાસની ખાદી બની ફરતાં હતાં.

રજની ડુબે પળમાં અને ભળ ભાંખળું ઝટ થઇ જતું,
નયનો મળે ન મળે ‘મનુજ’, વસમા વિરહ નડતાં હતાં.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૧૦/૨૦૦૮
છંદ- કામિલ-મુત.ફા.ઇ.લુન-લલગાલગા ના ચાર આવર્તનો-
પ્રથમ બન્ને લઘુ લઘુ તરીકે જ અનિવાર્ય છે. બે લઘુના સ્થાને એક ગુરુ
કરી શકાતો નથી. પ્રત્યેક કડીમાં ૨૮ માત્રા હોય છે. શેર ૫૬ માત્રાનો
હોય છે. આ ગઝલ લખવાની પ્રેરણા મુ. શ્રી સુમન અજમેરીના પુસ્તક
‘ગઝલ’ ! સંરચના અને છંદ-વિધાનના અભ્યાસ બાદ સ્ફુરી છે. એમને
મારા કોટિ કોટિ પ્રણામ સાથે આ ગઝલ… અર્પણ કરું છું. આમાં ક્યાંક બીજો
લઘુ હલન્ત થયો છે, અનિવાર્ય બે લઘુઓ ગુરુ બન્યા છે, ઘણી ક્ષતિઓ હશે,
પરન્તુ, મારા આ નમ્ર પ્રયાસની ક્ષતિઓને ક્ષમ્ય ગણશો એવી અભ્યર્થના.
નવા પ્રયોગમાં ગઝલની શુદ્ધતા પર વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૧૦/૨૦૦૮

1 Comment »

  1. અમસ્તાં અમે જ ઘડી ઘડી ઝગડો કરી મળતાં હતાં.
    ખુદ થી અગર કદિ ગૈર થી રસતો પુછી મળતાં હતાં.

    શેરમાં અમસ્તાં અમે જ ઘડી ઘડી માં અમસ્તાં લ લ ગા ને બદલે લ ગા ગા થાય છે. સુધારો કરવા વિનંતિ.

    Comment by ABHIJEET PANDYA — January 30, 2009 @ 5:53 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment