March 30th 2008

લાગણીની બાદબાકી

આ પરવતો નીલી ઘટાઓને કદી નડતા હતા.
ને, આંતરી રસતો, ભિંજવવા માંગણી કરતા હતા.

મન થાય તો માંગી લઉં, પાડી નથી ધાડો કદી,
ચુકવ્યું બધાનું કરજ મેં, ખુદા ખિસ્સા ભરતા હતા.

આ લાગણીની બાદબાકીની ખબર ત્યારે પડી-
સંબંધની ઠેસો ભર્યું જ્યારે ગણિત ગણતા હતા.

સાજન, સગાં ચાલી ગયા, સજની રહી ગઇ એકલી,
પૈઠણ મરક મરકી રહી, મિંઢળ ભડકે બળતા હતાં.

દિવસો જુદાઈ ના ગયા, જાશે હવે બીજા ઘણા,
સાગર ઉલેચી યાદના, ખાલી જગા ભરતા હતા.

ફૌલાદના સરદાર ને રૂદે ગુલાબ ભર્યું રતન,
નાગો ફકિર સંગ એમના, અંગરેજને ડારતાં હતા.

સ્વેત શિશિર ગયો ભાગતો, બીજી તરફ એ ધરતિની,
કારણ, વસંતી રંગ તો અહિં આવવા મથતા હતા.

આ ઝાંઝવા જેવું જિવન કેવું લપસણું વ્હેણ છે,
જિવતાં ડુબે લોકો અને તરવા શબો બનતા હતા.

એ ચિત્ર હવે કેવું હશે, કોનું હશે, ન ખબર પડી,
કારણ, ‘મનુજ’ના કર, હવા રંગો વડે ભરતા હતા.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૨૯/૨૦૦૮
છંદ- રજઝ – જેમાં ગાગાલગા ના ચાર ગણીય આવર્તનો છે.
મુસ.તફ.ઇ.લુન = મૂળ ગણ = ૨+૨+૧+૨ = ગાગાલગા.
એક પંક્તિમાં ૭ ગુણ્યા ૪ = ૨૮ માત્રાઓ હોય છે, અને આખો
શેર ૫૮ માત્રાઓનો હોય છે. ફરી એક વાર પ્રો. સુમન અજમેરીને
એમના નવા પુસ્તકના, સાહિત્ય જગતને પ્રદાન બદલ ધન્યવાદ સાથે-
અને, ‘રસિક’ મેઘાણીજીના ગઝલમાં ‘વજન’ લાવવાના સકારાત્મક આગ્રહને
ધ્યાનમાં રાખી, અને એને માન આપી, એમને આ અર્પણ કરું છું.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૨૯/૨૦૦૮

March 23rd 2008

ઢળી મૂછો, પડ્યા લીંબુ !

કહું છું હું તને એવી જગાએ આવવા માટે.
કરીએ આપ-લે દિલની જિવનને જીવવા માટે.

ધુમાડો ફેફસાંમાં ખાંસતા ઠાંસી ભલે દીધો,
ઠસો ઠસ ભીડ ઉમટી છે, મના ફરમાવવા માટે.

તમોને એમ છે જાણે તમે ઘરમાં સલામત છો,
ઉઘાડો દ્વારને નિકળો ઘડી ભર ભટકવા માટે.

વતન આવ્યો જ છું, બસ, મરણ પણ વતનમાં જ મળે,
મુઠી ભર ધૂળ આ માથે ભરું દફનાવવા માટે.

કરીએ શું જઈ એવી જગાએ ભીડમાં, કે જ્યાં-
મળે સહુ પોતપોતાની કથા બિરદાવવા માટે.

ખુદા મારો જ સાચો છે કહેનારા બહેરુપિયા,
ધરમના નામ પર નિકળી પડે વટલાવવા માટે.

શુકન કહિશું, કમોસમના વરસતા માવઠાને, કે-
વિધાતાના સિતમ, છતમાં સુરાખો આપવા માટે ?

સમયના ગરભમાં એવો દટાયો છું,અય,હમસફર!
કરું કોશિશ ચિરીને પેટ બા’ર કઢાવવા માટે.

કરે નિંદર બહારવટું, ઢળી મૂછો, પડ્યાં લીંબુ,
ઉઠાવો કલમ ‘મનુજ’ સુતું જહાન જગાડવા માટે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૨૧/૨૦૦૮
છંદ-હઝજ (લ ગા ગા ગા= ૧+૨+૨+૨)
૭ માત્રા ના ચાર આવર્તનો, ૨૮ માત્રા પ્રત્યેક પંક્તિમાં.
પ્રત્યેક શેરમાં, ૫૬ માત્રાઓ કુલ હોય છે.
– ‘મનુજ’ હ્યુસ્તોનવી

March 19th 2008

એ જ આ સાંજ છે !

રાહ જોતો રહ્યો, એ જ આ સાંજ છે.
ચાંદ ભૂલો પડ્યો, એ જ આ સાંજ છે.

હા, જલાવી પતંગ, થર થરે સિસકતો,
દીપ જલતો રહ્યો, એ જ આ સાંજ છે.

કાળની કોટડી, કોઇ સંત્રી નથી,
કૈદ ખુદને કર્યો, એ જ આ સાંજ છે.

વાલિયે એક દી’, લૂંટવું છોડિયું,
રામ-સીતા ભજ્યો, એ જ આ સાંજ છે.

હાથમાં હાથ ને બંધ આંખે દિઠો,
એક તારો ખર્યો, એ જ આ સાંજ છે.

ચાંદનીએ જરા ચાદરો પાથરી,
સાગર ઝુમી ઉઠ્યો, એ જ આ સાંજ છે.

મય ન પીવા કહે, સાકિયા, પણ છતાં-
જામ ખાલી કર્યો, એ જ આ સાંજ છે.

કસકની કલમથી ગઝલ દિલ પર લખી,
હાથ બળતો રહ્યો, એ જ આ સાંજ છે.

આંખ સુંદર હતી, સ્વેત રાધા સમી,
શ્યામ કીકી બન્યો, એ જ આ સાંજ છે.

કોણ બળવાન છે, જાણવા કૂપમાં-
સિંહ કૂદી પડ્યો, એ જ આ સાંજ છે.

સાચ છે, વચન છે, ધરમ પાલન ‘મનુજ’,
કળિ કકળતો રહ્યો, એ જ આ સાંજ છે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૧૮/૨૦૦૮
છંદ-મુતદારિક, જેમાં ગાલગા નાં ચાર આવર્તનો છે.
અખંડ ગણીય છંદ છે. ફા. ઇ. લુ. ન. (ગાલગા=૨+૧+૨ માત્રા)
એક પંક્તિમાં ૫ ગુણ્યા ૪ આવર્તનો = ૨૦ માત્રા. આ
વીસ માત્રી છંદ કહેવાય છે. કુલ ૪૦ માત્રા એક શેરમાં હોય છે.
આ છંદ આપણા ઝૂલણા છંદને મળતો આવે છે, પણ ઝૂલણા છંદમાં
પ્રત્યેક પંક્તિમાં ૧૨ અક્ષરો નિસ્ચિત હોય છે. -‘મનુજ’ હ્યુસ્તોનવી

March 11th 2008

માધવ કેમ નથી, મધુવનમાં ?

અમથાં અમે જ ઘડી ઘડી ઝગડો કરી મળતાં હતાં.
ખુદ થી અગર કદિ ગૈર થી રસતો પુછી મળતાં હતાં.

મતભેદ તો થઇ જાય છે, મનભેદ તો કરવો નથી,
મત ને હણી મન મેળવી ઉમદા જિવન જિવતાં હતાં.

અણથક હતો પ્રવાસ ને અનઘડ હતો પ્રયાસ,પણ-
વળગી ધરી, પહિયા બની, રથના અમે ફરતાં હતાં.

ચલતા ભલા સહુ સાધુઓ, કરે મોક્ષનો ઉદઘોષ જે,
બસ, એ જ ચળવળ માણવા, અપનાવવા મથતાં હતાં.

વસમું ગણિત જગમાં હવે બનશે ઉધાર અને જમા,
પળ એક જાવક હોય તો ય હિસાબમાં ભુલતાં હતાં.

વસમી હતી મધુવન મહીં ગિરિધર તણી અનવેષણા,
બસ, રાધિકા વિસરી ગઇ, વનરાવને મળતાં હતાં.

ચકલા અને ચકલી તણું ઘર આંગણું ઘણું શોભતું,
ચકલી હવે ચોખા અને ચકલો ઘઊં ચણતા હતાં.

ચરખે ફરી ચગડોળ સમ પરતંત્રતા જ્યમ પરહરી,
અમ એ જ ભારતવાસની ખાદી બની ફરતાં હતાં.

રજની ડુબે પળમાં અને ભળ ભાંખળું ઝટ થઇ જતું,
નયનો મળે ન મળે ‘મનુજ’, વસમા વિરહ નડતાં હતાં.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૧૦/૨૦૦૮
છંદ- કામિલ-મુત.ફા.ઇ.લુન-લલગાલગા ના ચાર આવર્તનો-
પ્રથમ બન્ને લઘુ લઘુ તરીકે જ અનિવાર્ય છે. બે લઘુના સ્થાને એક ગુરુ
કરી શકાતો નથી. પ્રત્યેક કડીમાં ૨૮ માત્રા હોય છે. શેર ૫૬ માત્રાનો
હોય છે. આ ગઝલ લખવાની પ્રેરણા મુ. શ્રી સુમન અજમેરીના પુસ્તક
‘ગઝલ’ ! સંરચના અને છંદ-વિધાનના અભ્યાસ બાદ સ્ફુરી છે. એમને
મારા કોટિ કોટિ પ્રણામ સાથે આ ગઝલ… અર્પણ કરું છું. આમાં ક્યાંક બીજો
લઘુ હલન્ત થયો છે, અનિવાર્ય બે લઘુઓ ગુરુ બન્યા છે, ઘણી ક્ષતિઓ હશે,
પરન્તુ, મારા આ નમ્ર પ્રયાસની ક્ષતિઓને ક્ષમ્ય ગણશો એવી અભ્યર્થના.
નવા પ્રયોગમાં ગઝલની શુદ્ધતા પર વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૧૦/૨૦૦૮

March 10th 2008

ખુદને અંગ

 

 

સંગીતા પસરીજા ચિત્ર 4 

ઓત પ્રોત છે એકબીજામાં લાલ ને કાળો રંગ

વાંસડાની ફર્સ જો વેઠે એમને ખુદને અંગ

મનોજ મહેતા

March 10th 2008

આ ભાર

 

અવન ભર્થેના ચિત્ર 2

નાજુક બે આ ગરદનો ને કેવો છે આ ભાર

થાય ગમે તે હવે ઉગારી લેવો છે આ ભાર

March 4th 2008

પોયણી, પંકજ થઈ જો !

મળો નહીં તો મળવા કહી જો.
વજ્ર સમો હાથ હવે ગ્રહી જો.

નદી સમાવું સમુદ્ર થઈ ને,
ઝર્ણું બની આજ મહીં વહી જો.

જરા હયાની રફતાર જોવા,
સપ્તપદી તું ફરવા કહી જો.

ભરી શુળોથી શિર તાજ મુક્યો,
હવે મસીહા બનવા કહી જો.

જળે થળે ને દળમાં ભમો છો,
ભલા અમારા દિલમાં રહી જો.

છુપાવિયાં સૌ શમણાં નિમીષે,
જગાડવાને અમને કહી જો.

તમે જ દીધાં સિતમો બધા,તો-
શરાબ સાથે સનમો સહી જો.

જુઓ વિધાતા અતિથી બની છે,
ધરો હસ્ત ને લખવા કહી જો.

ઉધારના જીવનનું શું કે’વું-
કર્જ કર્યું તો ભરવા કહી જો.

ન પોયણી પંકજ થાય ખુલી,
કિસ્મતને તું ખિલવા કહી જો.

શરીરના સર્વ છિદ્રો ખુલ્યા,તો-
દિવાસળીના ભડકે બળી જો.

કૃષ્ણ સમો ગ્રંથ ઉકેલવાને-
તુ રાધિકા ગાઇડને પઢી જો.

હવા મળી તો ‘મનુજે’ ચઢાવ્યો,
હવા વિના ઊપર તું રહી જો.

– ‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૦૩/૨૦૦૮
ગઝલ-છંદ ઉપેન્દ્રવજ્રા, ગણ બદ્ધ
ગણ-જ,ત,જ,ગ,ગ.
અક્ષરમેળ- ૧૧ અક્ષરો.