April 8th 2008

ભાસ-આભાસ

આંખ મ્હારી ને હવે મેં શું નિહાળ્યું, જાણવું છે!
પ્રેમનાં આ વ્હેણમાં મેં શું ગુમાવ્યું, જાણવું છે!

જે રમકડાનાં થયા ટુકડા ઘણાં, ટૂટી જતાંમાં,
એ ફરી જોડી નવું કોણે બનાવ્યું, જાણવું છે!

ચાંદ ચાંદરણું લઈ આવે કદી આકાશમાં, પણ-
ધરતિ પર આ સ્વર્ગ કોણે અહિં ઉતાર્યું, જાણવું છે!

ચાલતા લથડી, ધરાશાયી થયો છું હું, છતાં પણ-
મુજ વજન કોણે ખભા પર લઇ ઉપાડ્યું, જાણવું છે!

કરગરીને નત મસ્તકે, જિંદગી માગી અમારી,
ને, પછી ડોકું, કયા કારણ ઉતાર્યું, જાણવું છે!

મોરના ટહુકા પૂકારે, રાહ જૂએ મારગ ધુળીયા,
વતનની ધૂળે, ઘણું યે કે’વડાવ્યું, જાણવું છે!

સાત સાગરમાં ‘મનુજ’ તરતા રહ્યા છો, તો પછી,કાં-
ઢાંકણીમાં જળ લઈ, ડૂબી બતાવ્યું, જાણવું છે!

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૪/૦૭/૨૦૦૮
છંદ- રમલઃ સાલિમ મુસમ્મન છંદ- ગાલગાગા નાં ચાર
આવર્તનોવાળો અખંડ ગણીય છંદ. ફા.ઇ.લા.તુન=ગાલગાગા.
=૨+૧+૨+૨=૭ માત્રાઓ ગુણ્યા ૪= ૨૮ માત્રાઓ એક પંક્તિમાં
હોય છે. એક શેરમાં ૫૬ માત્રાઓ હોય છે. ભાઇ શ્રી ‘રસિક’ મેઘાણીના,
શેરમાં ‘વજન’ હોવા અંગેના, તથા ‘વસ્તુ’ હોવા માટેના અત્યાગ્રહને
માન આપીને જેની રચના કરી છે, તે આ સાથે એમને અર્પણ કરું છું-